અરુણાચલમાં મોટો ઉગ્રવાદી હુમલો NPP ધારાસભ્ય સહિત ૧૧નાં મોત
। ઈટાનગર ।
પૂર્વોત્તર ભારતમાં સક્રિય નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (નાગા) ના ઉગ્રવાદીઓએ અરુણાચલમાં એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. નાગા ઉગ્રવાદીઓએ ખોંસા પશ્ચિમના ધારાસભ્ય તિરોંગ અબોહ અને તેમના પુત્ર સહિત ૧૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નાગા ઉગ્રવાદીઓએ કાફલાને ચારેબાજુએથી ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નેશનલ સોશિયાલિસ્ટ નાગાલેન્ડ મૂળ એક ઉગ્રવાદી સંગઠન છે અને તેઓ પૂર્વોત્તર ભારતમાં લોકોનું ગેરકાયદેસર ધર્માંતરણ કરાવી રહ્યું છે. હુમલાની વિગતે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ વિસ્તારમાં એલર્ટ જારી કરાયું છે.
ધારાસભ્ય અને તેમના દીકરાનું મોત
તિરપ જિલ્લાના ડેપ્યુટી કમિશનર પીએન થુંગોને કહ્યું કે તિરોંગ તેમના મતવિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે ૧૧.૩૦ કલાકની આસપાસ નાગા ઉગ્રવાદીઓએ તેમના કાફલાને નિશાન બનાવ્યો હતો. નાગાના ઉગ્રવાદીઓ કાફલાને ચારેબાજુએથી ઘેરીને અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા હતા જેમાં જેમાં તિરોંગ, તેમના પુત્ર અને બીજા નવ લોકોને ગોળીઓ વાગી હતી અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા હતા. અંધાધૂંધ ગોળીબારમાં ધારાસભ્યના પીએસઓને પણ ગોળી વાગી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા જ્યાં તેમની સ્થિત ગંભીર હોવાનું જણાવાયું હતું. હજુ થોડા સમય પહેલાં જ તિરોંગ એનપીપીની ટિકિટ પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેડના ઉગ્રવાદીઓ પર હુમલાનો આરોપ છે. ઘટનાસ્થળેથી જે તસવીર આવી તે અત્યંત ખોફનાક છે. ઉગ્રવાદીઓએ ધારાસભ્યના કાફલા પર અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અંદર બેઠેલા લોકોને વીંધી નાખ્યા હતા.
હુમલાખોરોને છોડાશે નહીં : સીએમ ખાંડુ
અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ એવું જણાવ્યું કે આ હુમલાનું ષડ્યંત્ર કરનાર લોકોને છોડવામાં નહીં આવે. અમે તેમને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ડીજીપી સિંહે જણાવ્યું કે તિરોંગની સાથે તેમના પુત્ર, બીજા પરિજનો તથા ૪ સુરક્ષાકર્મીઓ હતા.
મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગૃહમંત્રાલયને હસ્તક્ષેપની અપીલ કરી
મેઘાલયના મુખ્યમંત્રી અને એનપીપી અધ્યક્ષ કોનરાડ સંગમાએ ઉગ્રવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડતા વડા પ્રધાન કાર્યાલય, તથા ગૃહમંત્રી રાજનાથસિંહને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. સંગમાએ કહ્યું કે અમે તિરોંગ અને તેમના પરિવારની હત્યાથી હેરાન છીએ. અમે આ હુમલાની નિંદા કરીએ છીએ. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને આ કેસમાં એક્શન લેવું જોઈએ.
કોંગ્રેસે ભાજપ પર દોષનો ટોપલો ઢોળ્યો
પ્રદેશ કોંગ્રેસે આ ઘટનાનો દોષનો ટોપલો રાજ્યની સત્તાધારી ભાજપ પર ઢોળ્યો છે. કોગ્રેસે કહ્યું કે જો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકારના રાજમાં ધારાસભ્યોનો જીવ જ સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય લોકોની શું વાત કરવી. બીજી બાજુ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજીજુએ આ હુમલાને આકરા શબ્દોમાં વખોડયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અરુણાચલમાં મોટો ઉગ્રવાદી હુમલો NPP ધારાસભ્ય સહિત ૧૧નાં મોત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/arunachal-moto-extremist/
via Best Gujarati News
0 Comments