સામાન્ય ચૂંટણી બાદ દેશમાં સ્થિર સરકાર આવે તો શેરબજાર વધે છે
દેશમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલાં, દરમિયાન અને ત્યારબાદ આવેલા એક્ઝિટપોલના અંતે શેરબજારમાં મોટાપાયે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. જાણકારોના મતે દેશમાં સરકાર રચાવાની બાબતને અને શેરબજારને વિશેષ સંબંધ હોય છે. દેશમાં જ્યારેપણ સામાન્ય ચૂંટણીઓ યોજાય છે ત્યારે પ્રીપોલ સરવે, પોસ્ટ પોલ સરવે અને પરિણામો આ તમામની અસર બજાર ઉપર તરત જ જોવા મળે છે. આ બાબતના ઈતિહાસ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે, દેશમાં લોકસભાની છેલ્લી ચારેય ચૂંટણી બાદ છ મહિનામાં ભારતીય શેરબજારોમાં સરેરાશ ૪૦.૮ ટકાનો વધારો નોંધાયો હતો જે ચૂંટણી પૂર્વેના છ મહિના કરતા વધુ હતો. ભારતીય શેરબજારમાં મહત્ત્વના ઇન્ડેક્સ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ૧૯૯૯ અને ૨૦૧૪ દરમિયાન લોકસભાની ચારેય ચૂંટણી બાદ છ મહિના સુધી દેખીતી રીતે વધારો નોંધાયો હતો.
નિફ્ટી હંમેશાં ચૂંટણી બાદ વધ્યો છે
ચૂંટણી પૂર્વે અને દરમિયાનની સ્થિતિની સરખામણી કરીએ તો નિફ્ટી હંમેશા ચૂંટણી બાદ વધ્યો છે. મુંબઇની વેલ્થ મેનેજમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ કંપની આનંદ રાઠી વેલ્થ સર્વિસીસ દ્વારા ૨૦૧૮ના ડિસેમ્બરમાં રિપોર્ટમાં આ જ બાબતનો ઉલ્લેખ કરવામાં આળ્યો હતો. સ્થિર સરકાર ઇચ્છનીય છે કેમકે શેરબજારના સાનુકૂળ પ્રતિસાદ માટે કોઇ એક રાજકીય પક્ષ કે સાથી પક્ષોએ બહુમતી મેળવવાની આવશ્યકતા છે, એમ રિપોર્ટમાં જણાવાયું હતું. લોકો સ્થિર સરકાર ઇચ્છે છે. આથી, કોઇ રાજકીય પક્ષ કે યુતિ ૫૪૩ બેઠકો ધરાવતી લોકસભામાં ૨૭૨ની સંખ્યાને પાર કરે તો એટલી ખાતરી થઇ જાય કે સરકાર સ્થિર રહેશે. યુપીએ કે એનડીએ બહુમતી મેળવે એ અગત્ય નથી. બજાર અનુભવે કે સરકાર સ્થિર છે તો સ્થિર નીતિઓની અપેક્ષા બંધાશે અને બજાર પ્રતિસાદ આપવાની શરૂઆત કરશે. સ્થિરતા અગત્યની છે.
ત્રીજો મોરચો (મહાગઠબંધન) સત્તા ઉપર આવે તો શેરબજાર કડડભૂસ થઈ જાય
વર્તમાન લોકસભાની ચૂંટણીમાં ત્રણ સંભવિત પરિણામો છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. સૌપ્રથમ તો એ જ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ફરી ચૂંટાઇ આવે. બીજું, કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએની સરકાર આવે અને કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે એ સ્થિતિમાં ત્રિશંકુ સરકાર રચાય. અમે તર્કસંગત વિચાર્યું તો જણાયું કે ભાજપ ફરીથી ચૂંટાઇ આવશે. અમને જણાયું કે આ ત્રણ વિકલ્પો પૈકી સૌપ્રથમ વિકલ્પ લોકો માટે વધુ તર્કસંગત છે. શક્તિશાળી નેતા ધરાવવા બદલ તેમની પાસે લોકોને આશા અને અપેક્ષા છે. બે મહત્ત્વના રાજકીય પક્ષો ભાજપ અથવા તો કોંગ્રેસ પૈકી કોઇ એક દ્વારા યુતિ સરકાર રચાવી જોઇએ એ સ્થિતિમાં શેરબજાર ખાસ્સું વધશે. આમછતાં ત્રીજો મોરચો (મહાગઠબંધન) સત્તા ઉપર આવે તો શેરબજાર કડડભૂસ થઇ જાય કેમકે સરકાર પાસે શક્તિશાળી નેતાગીરીનો અભાવ હશે અને સાથોસાથ કોઇ સ્થિર પોલીસી પણ નહીં હશે. અમે ઐતિહાસિક દૃષ્ટિએ આવું અનુભવ્યું છે, એમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. ભૂતકાળમાં ચૂંટણી પૂર્વે અને આશાસ્પદ પરિણામ બાદ શેરબજારમાં તેજી જોવા મળી છે. તેજી આગળ ઉપર ચાલુ રહી છે.
૩૦ મોટી ભારતીય કંપનીઓનો સમાવેશ
નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઇ) – ૫૦ માટે નિફ્ટીની શરૂઆત ૧૯૯૬ના પહેલી એપ્રિલે કરવામાં આવી હતી. ઔએનએસઇમાં લિસ્ટેડ ૧૨ ક્ષેત્રોની ૫૦ મોટી ભારતીય કંપનીઓનું પ્રતિનિધિત્વ કરવાના ઉદ્દેસસર નિફ્ટીની રચના કરવામાં આવી હતી. સેન્સેક્સ – બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)નો સેન્સિટિવ ઈન્ડેક્સ છે જેમાં બીએસઇમાં લિસ્ટેડ ૩૦ મોટી ભારતીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની રચના ૧૯૮૬માં કરવામાં આવી હતી.
૫ વર્ષમાં ૧૦૦ ટકા વળતર આપ્યું છે
આનંદ રાઠીના સૂત્રોએ ઈન્ડિયા સ્પેન્ડને જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં નિફ્ટીએ વાસ્તવમાં ૧૦૦ ટકા વળતર આપ્યું છે. આથી, પાંચ વર્ષ માટે સ્થિર સરકાર આવે અને સ્થિર નીતિઓ અમલી બનાવે તો શેરબજાર વધશે. કયો પક્ષ જીતે છે તે મહત્ત્વનું નથી કેમકે ભારતીય વપરાશલક્ષી અર્થતંત્રમાં ચૂંટણી એક સૌથી મોટી આર્થિક ઘટના છે શેરબજાર વધવા માટે તે એક બીજું કારણ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
૨૦૦૯ બાદ શેરબજાર બદલાયું હતું
દાખલા તરીકે ૨૦૦૯માં ચૂંટણીના ૧૨ મહિનાના સમયગાળામાં (મતદાન પૂર્વે અને મતદાન બાદ) શેરબજારે રોકાણકારોને અંદાજે ૫૭ ટકા વળતર આપ્યું હતું. આમ છતાં ૨૦૦૪ની ચૂંટણી બાદ અપેક્ષા મુજબ પરિણામ આવ્યું ન હતું. કોંગ્રેસ પક્ષ એકમાત્ર સૌથી મોટા પક્ષ તરીકે ઉદ્દભવ્યો હતો અને યુપીએ સરકારની સ્થાપના થઇ હતી. ચૂંટણીના ૧૨ મહિનાના સમયગાળાને ધ્યાનમાં લેતા ફરીથી એનડીએની સરકાર રચાશે એવી વ્યાપક ધારણા વચ્ચે શેરબજારે માત્ર ૧૬ ટકા વળતર આપ્યું હતું, એમ બજારને આધારિત એક રિપોર્ટમાં જણાવવામાં ઔઆવ્યુંં હતું.
સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળે છે
ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો અને સરકાર દ્વારા મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવે છે જે આખરે તો શહેર અને ગામડાના લોકો પાસે આવે છે. લોકો આ નાણાં વાપરશે અને તેમનો વપરાશ વધશે. આથી, લિસ્ટેડ કંપનીઓની આવક વધવાની શક્યતા છે. અમારૃં દૃઢપણે માનવું છે કે આ પ્રક્રિયા ચાલુ રહેશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. આગામી પાંચ વર્ષ દરમિયાન કંઇક જુદી પરિસ્થિતિ સર્જાશે એવી ધારણા સાથે ચૂંટણી દરમિયાન સકારાત્મત્ક સેન્ટિમેન્ટ પણ જોવા મળે છે. નવી ચૂંટાયેલી સરકાર નવી પોલીસીઓ સાથે આગળ વધશે એવી અપેક્ષા રાખવામાં આવે છે અને તેના સહારે શેરબજાર વધવાની શરૂઆત થાય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તર્કસંગત અને આશાસ્પદ પરિણામનું મહત્ત્વ
આ રિપોર્ટમાં ૨૦૧૧ અને ૨૦૧૮ દરમિયાન યોજાયેલી ૪૮ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓનું પણ પૃથક્કરણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે કોઇ એક પક્ષ માટે મતદાન કરવા પૂર્વે મતદારો તર્કસંગત કારણોને અનુસર્યા હતા. સરકારના રિપોર્ટ કાર્ડના તર્કસંગત અર્થઘટન દ્વારા મતદારો સરકારને નવાજે છે અથવા તો સજા કરે છે. અમે જોયું છે કે લોકો શક્તિશાળી નેતાઓને ચૂંટવા ઉત્સુક હોય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઉદાહરણ રૂપે પંજાબની વાત કરીએ તો અમને જણાયું હતું કે ભાજપે ૨૦૧૭માં અન્ય રાજ્યોમાં વિજય મેળવ્યો હતો પરંતુ પંજાબમાં પરાજય સહેવો પડયો હતો. તેનું એકમાત્ર કારણ હતું મજબૂત નેતાગીરી જે હાલના કોંગ્રેસના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંઘમાં જોવા મળે છે. આથી, લોકોએ કોઇ એક ચોક્કસ પક્ષને મત આપ્યો ન હતો. લોકો ઇચ્છતા હતા કે કોઇ એક સબળ વ્યક્તિ નેતાગીરી નિભાવે અને પ્રજાલક્ષી કાર્યો સુપેરે પાર પાડે. તર્કસંગત અને આશાસ્પદ પરિણામ હોય તો શેરબજાર માટે ચૂંટણીનું પરિણામ સવિશેષ મહત્ત્વનું છે, એમ રિપોર્ટમાં જણાવાયું હતું.
૧૦૦ ટકા વળતર છેલ્લાં પાંચ વર્ષમાં નિફ્ટીએ આપ્યું હતું. આથી, પાંચ વર્ષ માટે સ્થિર સરકાર આવે અને સ્થિર નીતિઓ અમલી બનાવે તો શેરબજાર વધશે તે સ્વાભાવિક રીતે સ્વીકારી શકાય તેવી બાબત છે.
૨૭,૦૦૦ પોઈન્ટ ઉપર બજાર પહોંચ્યું હતું જ્યારે ૨૦૧૪માં દેશમાં એનડીએની સરકાર રચાઈ હતી. તે સમયે સ્થિર સરકારના વરતારા સાથે બજાર પણ સ્થિર થયું હતું
ચારેય કિસ્સામાં નિફ્ટી, સેન્સેક્સ વધ્યા હતા
નિફ્ટીની શરૂઆત બાદ યોજાયોલી લોકસભાની ચાર પૈકી બે ચૂંટણી (૨૦૦૪, ૨૦૦૯)માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએની સરકાર રચાઇ હતી.
૧૯૯૯ બહુમતી ઓછી હોવા છતાં ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ સરકાર સ્થપાઇ હતી. ૨૦૧૪માં ભાજપને ચોખ્ખી બહુમતી મળી હતી અને સાથી પક્ષો સાથે મળીને એનડીએ સરકાર સ્થપાઇ હતી. આ ચારેય કિસ્સામાં નિફ્ટી અને સેન્સેક્સ વધ્યા હતા.
૨૦૦૪ / ૨૦૦૯ ચૂંટણીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએ સરકારની સ્થાપના થઇ હતી. ૨૦૦૯ની ચૂંટણીમાં યુપીએની સરકાર ફરીથી ચૂંટાઇ આવી ત્યારબાદ નિફટીમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. ૨૦૦૯ના ૧૬મી ઓકટોબરે ઇન્ડેક્સ ૫૧૪૨ પોઇન્ટ હતો જે એક વર્ષ પૂર્વે ૩૨૬૯ પોઇન્ટ હતો. આમ, તેમાં ૫૭.૩ ટકાનો વધારો થયો હતો.
૨૦૦૯ ચૂંટણી બાદ સેન્સેક્સમાં પણ ખાસ્સો વધારો થયો હતો. ૨૦૦૮ના ઓક્ટોબરમાં સેન્સેક્સ ૧૦૫૮૧ પોઇન્ટ હતો તે ૨૦૦૯ના ૧૬મી ઓકટોબરે વધીને ૧૭૩૨૩ પોઇન્ટ થયો હતો. ૨૦૦૯ની ચૂંટણી બાદ સેન્સેકસ પણ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ૨૦૦૮ના ૧૬મી ઓક્ટોબરે સેન્સેક્સ ૧૦૫૮૧ પોઇન્ટ ઉપર હતો તે ૨૦૦૯ના ઓક્ટોબરમાં વધીને ૧૭૩૨૩ ઉપર પહોંચ્યો હતો.
૨૦૧૯ તાજેતરમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી આવી જ સ્થિતિ જોવા મળી છે. એક્ઝિટપોલ બહાર આવતાની સાથે જ બજારમાં ગુલાબી તેજી આવી ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં મોદી મેજિક છવાયું છે અને કેન્દ્રમાં જંગી બહુમતી સાથે એનડીએની સરકાર રચાશે તેવા ૧૦માંથી ૯ એક્ઝિટ પોલનાં તારણો પછી સોમવારે દેશનાં શેરબજારોમાં તેજીનો આખલો ભૂરાયો થયો હતો. ચોગરદમ લેવાલી સાથે મન્ડે મેજિક છવાયો હતો. સેન્સેક્સમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો અને ૧૪૨૨ પોઈન્ટનો જ્યારે નિફ્ટીમાં ૪૨૧ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. એક દિવસનાં કારોબારમાં સેન્સેક્સ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડીને ૩.૭૫ ટકા એટલે કે ૧૪૨૧.૯૦ પોઈન્ટ વધીને ૩૯,૩૫૨.૬૭ પોઈન્ટે બંધ રહ્યો હતો. બીએસઈએ ૩૯૩૦૦ પોઈન્ટનો આંક કુદાવ્યો હતો. જ્યારે નિફ્ટી ૩ વર્ષની સૌથી મોટી છલાંગ લગાવીને ૩.૬૯ ટકા એટલે કે ૪૨૧.૧૦ પોઈન્ટ મજબૂત થઈને ૧૧,૮૨૮.૨૫ પોઈન્ટ બંધ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ ૯૪૬.૨૪ની તોફાની તેજી સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ૨૪૪.૭૫ પોઈન્ટનાં વધારા સાથે ઉંચા ગેપમાં ખુલી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સામાન્ય ચૂંટણી બાદ દેશમાં સ્થિર સરકાર આવે તો શેરબજાર વધે છે appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/after-the-general-election-in-country/
via Best Gujarati News
0 Comments