ચંદરવો :- રાઘવજી માધડ

કવિવરના જવાબથી ઠાકોર સાહેબ બેઘડી વિચારમાં પડી ગયા હતા.

કવિવર ન્હાનાલાલ રાજકુમાર કોલેજમાંથી નિવૃત થયા પછી રાજકોટના ઠાકોર સાહેબ લાખાજીરાજે તેઓને રાજના ન્યાયાધીશ પદ માટેની ઈચ્છા જણાવી હતી. સામે કવિવરે નમ્રપણે જણાવ્યું હતું કે, આ પદ માટે મને સદનસીબ સમજુ છું પણ હું કાયદાશાસ્ત્રનો સ્નાતક નથી. તેથી આવું મહત્વનું પદ સંભાળી ન શકું.

પણ ઠાકોર સાહેબે ફ્રી જણાવ્યું હતું કે, ન્યાયમાં પણ કુદરતના સિદ્ધાંત મુજબ વિવેકબુદ્ધિની જરુર પડતી હોય છે. જે આપનામાં છે…અને ખરું કહું તો આપે ભલે કાયદાનો પુરતો અભ્યાસ ન કર્યો હોય પણ કાયદાએ તો ન્યાયાધીશના મદદગાર રહેવાનું હોય છે. એ કેમ ભૂલી જાવ છો, કવિવર !?

‘ભલે,આપ નામદાર સાહેબ જણાવો છો તો હું આપની ઈચ્છા સાથે સહમત થાઉં છું.’

રાજના પ્રતિષ્ઠાભર્યા પદ માટે કવિવરે પ્રથમ અસંમતિ દર્શાવી તેથી તેઓ પ્રત્યેના માનમાં ઉમેરો થયો હતો. અને કવિવરે રાજકોટ રાજના સર ન્યાયાધીશ તરીકેના પદને ગ્રહણ કરી લીધું હતું.

પદભાર સંભાળ્યા પછી થોડા વખત બાદ ઠાકોર સાહેબ તરફ્થી કવિવરને એક સાંજનું ભોજન સાથે લેવા નિમંત્રણ મળ્યું હતું. તેમાં રાજના દીવાનને પણ ખાસ સામેલ કરવામાં આવ્યા હતા.

‘કવિવર ! હમણાં હમણાં આપના એક ચુકાદા અંગે કંઈ સાંભળવા મળે છે તે શું હકીકત છે !?’

ત્યાં કવિવર કંઈ સમજે તે પહેલા જ દીવાને સૂર પુરાવતા કહ્યું : ‘નગરશેઠની મિલકતનો ચુકાદો !’

‘શું છે એ હકીકત તે આટલી ચર્ચા થાય છે!’ ઠાકોર સાહેબનો સ્વર સહેજ ઉંચો થઇ ગયો.

દીવાને વાત સાંધતા ત્વરીત કહ્યું : ‘નામદાર ઠાકોર સાહેબને એ કેસથી વાકેફ કરો ને!’

આમ ભોજન માટે બોલાવવા, સાથે દીવાનનું હોવું અને ટાપશી પુરાવવી…ચતુર સુજાણને સઘળો તાળો મળી ગયો. સમજના દ્વાર ધડાક કરતા ઉઘડી ગયા. ઘટનાની અવાંતરે રમાતી રમત ચક્ષુ સામે ઉઘડી આવી.

‘ઠાકોરસાહેબ ! નગરશેઠની મિલકત અંગેનો કેસ નીચલી કોર્ટમાં ચાલતો હતો.’કવિવર વિવેક દાખવીને બોલ્યા : ‘કેસની વિગત એવી હતી કે નગરશેઠને બે પત્ની હતી. તેમાં નવા શેઠાણીના પુત્રોએ જૂના શેઠાણી સામે દાવો માંડયો હતો.’

ત્યાં દીવાને વચ્ચે જ સ્પષ્ટતા કહ્યું : ‘જૂના પત્ની સામે નવા પત્નીના પુત્રોએ મિલકતમાં ભાગ અંગેનો કેસ રાજની નીચલી કોર્ટમાં કર્યો હતો બરાબર ને !?’

‘હા…’કવિવર ગળું ખંખેરીને બોલ્યા : ‘કેસ ચાલ્યો…તેમાં ગમે તે બન્યું હોય તે પણ ચુકાદો નવા પત્નીના તરફેણમાં આવ્યો હતો.’

‘આવે…’ વચ્ચે દીવાન એકદમ બોલી ગયા : ‘કાયદો કાયદાનું કામ કરે, બીજું શું !’

ઠાકોરસાહેબે સવાલ કરીને આગળનું જાણવા પૂછયું : ‘પછી શું થયું?’

કવિવરે કહ્યું : ‘મિલકત બધી નવા પત્નીના પુત્રોને મળી જેથી જૂના પત્નીની સ્થિતિ સાવ નિરાધાર જેવી થઇ ગઈ. એકવખતના નગરશેઠાણી કાયદાના એક જ ઝાટકે રસ્તે રઝળતાં થઇ ગયાં !’

ઠાકોરસાહેબ શાંતિથી સાંભળતા હતા.

‘અપીલમાં આ કેસ મારા પાસે આવ્યો…’કવિવરે કહ્યું : ‘મેં એક જ વાતમાં સમાધાનપૂર્ણ નિવેડો લાવી દીધો.’ ત્રણેયે એકબીજાના મોં સામે જોયું તેમાં દીવાન નજર મેળવી કે જીરવી શક્યા નહી.

‘મેં બંને પક્ષોને બોલાવ્યા અને પૂછયું : નગરશેઠની વિધવા નગરશેઠાણી ગણાય કે નહી!?’

‘એમાં તો વળી કોણ ના પાડી શકે ?’ કટાણું મોં કરી દીવાને મત્તું માર્યું.

કવિવરે કહી દીધું : ‘બંને પક્ષે સંતોષ થયો.’

‘એ તો બરાબર છે પણ…’ દીવાને દિલમાં દબાયેલી કટુતા બહાર નીકળી ન જાય તેની ખેવના સાથે પૂછયું : ‘કાયદો તો પત્નીના પુત્રોની તરફેણમાં હતો ને !?’

દીવાનનું કહેવું સાંભળી કવિવરની ડોક ટટ્ટાર થઇ ગઈ અને મનોમન પછીનું વિચારવા લાગ્યા.

અબોલ રહેલા ઠાકોરસાહેબ હોઠ ભીંસીને બોલ્યા : ‘આ વાતે જ નગરમાં ઉહાપોહ થવા લાગ્યો છે, કવિવર !’ ઠાકોરસાહેબના કહેવામાં જે ઠપકાનો સૂર પ્રગટતો હતો તે કવિવરથી અજાણ ન રહ્યો. છાતીમાં સોયના જેમ વાગ્યો. છતાંય સહેજેય સ્વસ્થતા ગુમાવ્યા વગર ખુમારીથી કહ્યું : ‘ઠાકોર સાહેબ! આપના રાજની એક વૃદ્ધા કે જે એકવારનાં નગર શેઠાણી હતાં, તે ભૂખે મરે તે આપને વાજબી લાગે ખરું!?’

કોઈ કાઈ બોલ્યું નહી. વાતાવરણમાં એકજાતની ખામોશી છવાઈ ગઈ.

પણ ખામોશીને તોડી કવિવર બોલ્યા : ‘અને ઠાકોરસાહેબ આપના શબ્દોની યાદ અપાવું તો હું અહીં વિવેક બુદ્ધિથી વર્ત્યો છું અને કુદરતી ન્યાયને અન્યાય નથી કર્યો. જેમ આપ વર્ત્યા છો એમ…’

ઠાકોરસાહેબ કવિવરના મોં સામે સંદિગ્ધ નજરે તાકી રહ્યા. દીવાનને પણ અજૂગતું લાગ્યું.

‘મારા ચુકાદા બાબતે રાજમાં ઉહાપોહ થયો તે બાબતે આપ મને ઠપકો આપી શક્યા હોત. પરંતુ માનપૂર્વક આમ ભોજનમાં બોલાવી શાંતિથી કહ્યું. આ આપની વિવેક અને ન્યાયબુદ્ધિ છે. હું પણ આમ જ…’

કવિવરનો જવાબ સાંભળી ઠાકોરસાહેબ સઘળું સમજી ગયા. આગળ કાંઇ બોલવા, કહેવા જેવું રહ્યું નહોતું. આ બાજુ દીવાન તો સાવ નરમઘેંશ થઇ ગયા હતા. હવે કાઇ બોલ્યા જેવું રહ્યું નહોતું.

ભોજન આરોગ્યા બાદ ઠાકોરસાહેબ હળવાશથી બોલ્યા : ‘દીવાન ! આપણે હવે ન્યાયની બાબતમાં દખલ નહી કરીએ, બરાબર!’ પછી એકબીજા સામે મોઘમ હસીને છુટ્ટા પડયા.

ardh@sandesh.com

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કવિવર ન્યાયાધીશ થયા અને…. appeared first on Sandesh.



from Ardha Saptahik – Sandesh http://sandesh.com/quiver-judge-being-and/
via Best Gujarati News

0 Comments