એક્ઝિટ પોલમાં મોદી સરકારને ફરીથી બહુમત મળતાં વિપક્ષી પક્ષોએ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ને લઈ શોર મચાવવાનું શરૂ કરી દીધું છે. ઈવીએમમાં છેડછાડની આશંકા સાથે વિપક્ષી પક્ષોએ સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા છે. VVPAT કાઉન્ટ અને EVMમાં દાખલ વોટ અલગ-અલગ આવે તો આમ આદમી પાર્ટીના સંજય સિંહે ચૂંટણી રદ કરવાની માગ અત્યારથી જ કરી દીધી છે. તો આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ મતગણતરીની પ્રક્રિયાઓમાં કેટલીય સમસ્યાઓને લઈને ચૂંટણી પંચને ચિંતાઓ દૂર કરવા માટે માગ કરી છે. ચૂંટણી પંચ અનેકવાર કહી ચૂક્યું છે કે, ઈવીએમમાં કોઈ છેડછાડ શક્ય નથી, તેમ છતાં વિપક્ષ હંમેશા ઈવીએમ પર સવાલ ઉઠાવતું આવ્યું છે.

કોંગ્રેસને આવી ષડયંત્રની ગંધ

પરિણા પહેલાં મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ પણ ઈવીએમને શંકાની નજરે જોઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, જો એક્ઝિટ પોલ જેવાં જ પરિણામ આવ્યા તો, તેનો મતલબ સ્પષ્ટ છે કે, ઈવીએમમાં છેડછાડ થઈ છે. અલ્વીએ ત્યાં સુધી કહી દીધું કે, 2018માં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત પણ એક ષડયંત્ર હતું. તેઓએ કહ્યું કે, લોકસભામાં કોઈ ઈવીએમ પર સવાલ ન ઉઠાવે એટલાં માટે જાણી જોઈને ત્રણ રાજ્યોની ચૂંટણીમાં છેડછાડ કરવામાં ન આવી.

આ પહેલાં, રવિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ચૂંટણી પંચ સામે સવાલ ઉઠાવ્યા હતા. ગાંધીએ આરોપ લગાવ્યો કે, પંચે મોદીની સામે આત્મસમર્પણ કરી દીધું છે. જો કે, રાહુલે ટ્વીટ કર્યું તે સમયે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા ન હતા.

આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, મતગણતરીની પ્રક્રિયામાં કેટલીય સમસ્યાઓ છે. ચૂંટણી પંચે એ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પગલાં ભરવા જોઈએ. ઈવીએમને લઈને અનેક અફવાઓ છે, જેમાં પ્રિન્ટર્સ સાથે છેડછાડ થવાની અને કંટ્રોલ પેનલને બદલી લેવાની અફવા પણ સામેલ છે.

યેચુરીઃ EVM-VVPAT કાઉન્ટ અલગ-અલગ હોય તો શું થશે?

સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ ટ્વીટ કર્યું કે, ઈવીએમમાં દાખલ વોટ અને વીવીપેટના કાઉન્ટ અલગ-અલગ હોય તો શું થશે, તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. તેઓએ ટ્વીટ કરતાં લખ્યું કે, વીવીપેટ અને ઈવીએમના આંકડાને ળઈ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ પ્રક્રિયા જ નક્કી કરી શક્યું નથી કે મિસમેચ થયું તો શું થશે.

એક્ઝિટ પોલની પાછળ મમતાને લાગે છે ષડયંત્ર

એક્ઝિટ પોલના પરિણામને બંગાળના સીએમ મમતા બેનર્જીએ એમ કહીને ફગાવી દીધા કે, આ એક ગેમ પ્લાન હેઠળ છે. તેઓએ ટ્વીટ કર્યું કે, હું એક્ઝિટ પોલની ગોસિપમાં વિશ્વાસ નથી કરતી. આ ગેમ પ્લાનથી ઈવીએમમાં છેડછાડ કરવામાં આવે, અથવા હજારો ઈવીએમને બદલી દેવામાં આવે. હું તમામ વિપક્ષી પક્ષોને એકજૂટ, મજબૂત રહેવા અપીલ કરું છું.

AAPને એક્ઝિટ પોલની પાછળ દેખાઈ રહ્યો છે EVMનો ખેલ

આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે, જો વીવીપેટની સંખ્યા અને ઈવીએમના વોટ અલગ અલગ આવ્યા તો ચૂંટણી રદ કરી દેવી જોઈએ. સિંહને મમતાના ટ્વીટને રિટ્વીટ કરતાં લખ્યું કે, શું ખરેખરનો ખેલ ઈવીએમ છે? શું પૈસા આપીને એક્ઝિટ પોલ કરવામાં આવ્યો છે? યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, બંગાળ દરેક જગ્યાએ બીજેપી જ જીતી રહી છે, એ કોણ વિશ્વાસ કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post EXIT POLLSના પરિણામ બાદ વિપક્ષ અત્યારથી જ EVMની બૂમો પાડવા લાગ્યું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/opposition-cries-over-evm-manipulation-after-exit-poll/
via Best Gujarati News