પ્રોપર્ટી લોઝ એન્ડ વ્યૂઝ : નઝમુદ્દીન મેઘાણી

જ્યારે પણ સક્ષમ મહેસૂલી અધિકારી સમક્ષ નવી શરતની જમીન અંગે રજિસ્ટર્ડ વસિયતનામાના આધારે હકપત્રકમાં ફેરફાર કરવા માટે રજૂ કરવામાં આવે ત્યારે તે અધિકારી તેવા રજિસ્ટર્ડ દસ્તાવેજની રેવન્યૂ રેકર્ડ પર નોંધ કરવા બંધાયેલા છે અને તેની એન્ટ્રી પાડવા સંબંધિત અન્ય પક્ષકાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવે તો તે સમયે અથવા તે તબક્કે સક્ષમ અધિકારીએ તેવા વાંધાઓના ગુણદોષમાં ઊતરીને તેવા રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે પાડવામાં આવેલી એન્ટ્રી નામંજૂર યા રદ કરવી જોઈએ નહીં એટલે કે રજિસ્ટર્ડ દસ્તાવેજથી હક ફેરફાર માટે કોઈપણ નોંધ પાડવા માટે સક્ષમ મહેસૂલી અધિકારી સમક્ષ આવે તે પ્રથમ તો તેણે નોંધ પોતાના રેકર્ડમાં નોંધવી જ જોઈએ અને તે રજિસ્ટર્ડ દસ્તાવેજની એન્ટ્રી સંબંધિત વાંધા લેનાર પક્ષકાર ઉપસ્થિત કરવામાં આવેલ તકરારોનો સક્ષમ હકૂમત ધરાવતી અદાલત દ્વારા નિર્ણય આપવામાં આવે તેને અધીન રાખવી જોઈએ.

ઉપર મુજબનું તારણ આપતા નામદાર ગુજરાત હાઈકોર્ટે જશવંતભાઈ ડાહ્યાભાઈ પટેલ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત વચ્ચે થયેલ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. : ૭૫૯૫/૨૦૧૬ના કામે તા.૨૫-૦૪-૨૦૧૮ના રોજ ચુકાદો આપેલો  છે. (લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૩, માર્ચ-૨૦૧૯, પાના નં.૨૦૧)

આ કેસની ટૂંકમાં હકીકત નીચે મુજબ છે.

ગામ વરિયાવ, તાલુકા ચોર્યાસી, સુરત ખાતે આવેલ બ્લોક નં.૪૩૫ વાળી જમીનના સંબંધમાં તેના માલિક રામજીભાઈ દુર્લભભાઈ કે જેઓ તા.૨૩-૧૦-૨૦૦૩ના રોજ અવસાન પામ્યા હતાં. મજકૂર રામજીભાઈએ કથિત જમીનના સંબંધમાં તા.૦૧-૦૭-૧૯૯૨ના રોજ એક વસિયત અનુક્રમ નં.૧૨૨૩થી નોંધણી કરી હતી. કથિત વસિયત વડે, જમીન હાલના અરજદારને આપવામાં આવી હતી, કે જેઓ મૃતક રામજીભાઈના ભત્રીજા થતાં હતાં. જે અંગેની નોંધ મહેસૂલી દફતરે નોંધ નં.૧૧૭૪૬થી નોંધાયેલ. મામલતદાર, ચોર્યાસીનાએ ખાનગી બચાવકર્તાઓ-મૃતક રામજીભાઈના વારસો દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ વાંધા ઉપર કથિત ફેરફાર નોંધ નં.૧૧૭૪૬ રદ કરી હતી. ત્યાર બાદ અરજદારે નોંધ કરતાં મામલતદારના હુકમની વિરુદ્ધ તા.૨૪-૦૮-૨૦૦૪ના રોજ ડેપ્યુટી કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ અપીલ ડેપ્યુટી કલેક્ટર દ્વારા તા.૨૮-૦૯-૨૦૦૫ના રોજ નામંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ તા.૨૨-૧૧-૨૦૦૫ના રોજ આગળ વધુ ફેરતપાસ/અપીલ અરજદાર દ્વારા કલેક્ટર સમક્ષ દાખલ કરવામાં આવી હતી. કલેક્ટર, સુરતનાએ અપીલ તા.૨૩-૦૬-૨૦૦૬ના રોજ રદ કરી હતી. ત્યાર બાદ સુરત કલેક્ટરના હુકમ વિરુદ્ધ અમદાવાદ અગ્રસચિવ સમક્ષ ફેરતપાસ અરજી દાખલ થયેલ. જેને પણ રદ કરવામાં આવતા હાલનો આ કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ.

બચાવકર્તાઓએ કોર્ટ ઓફ સિવિલ જજ (સિનિયર ડિવિઝન), સુરત સમક્ષ રેગ્યુલર દીવાની દાવા નં.૫૮૬/૨૦૦૫ વાળો દાવો વિષય વસ્તુરૂપ જમીનના સંબંધમાં દાખલ કર્યા છે કે, જે પડતર છે. નોંધની વિરુદ્ધ લેવામાં આવેલ વાંધો વસિયતની કાયદેસરતાના સંબંધમાં હતો અને વધુમાં એવા આધાર ઉપર હતો કે, જમીન મૃતક રામજીભાઈને નવી શરતની જમીન તરીકે આપવામાં  આવી હતી, તેથી તેને વસિયત બનાવવાને અધીન બનાવી શકાઈ ન હોત. આ પાસું વસિયતને પડકારવાને સંબંધિત હતું. વસિયતની કાયદેસરતાં દિવાની અદાલત સમક્ષ પડકાર હેઠળ છે.

આ કેસમાં  નામદાર ગુજરાત હાઈકોર્ટે જણાવેલ કે, મહેસૂલી નોંધ નં.૧૧૭૪૬, કે જે વસિયતના આધારે પાડવામાં આવી હતી, તેને ભૂલથી દાખલ કરાયેલ હોવાનું કહી શકાયું ન હોત, કારણ કે, તે એક નોંધાયેલ વસિયત ઉપર આધારિત હતી. જ્યારે એક નોંધાયેલ વ્યવહાર થાય છે, ત્યારે તે મહેસૂલી રેકર્ડમાં પ્રતિબિંબિત થવો જ જોઈએ. ગુજરાત જમીન મહેસૂલ સંહિતા ૧૮૭૯ની કલમ ૧૩૫(સી)નો બીજો પ્રબંધક મહેસૂલી નોંધના સ્વરૂપમાં મહેસૂલી રેકર્ડમાં તેને પ્રતિબિંબિત કરીને કોઈપણ નોંધાયેલ વ્યવહારને અસર આપવાની ફરજ મહેસૂલી સત્તાધિકારી ઉપર નાંખે છે.

વધુમાં નામદાર હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, જ્યારે એક નોંધાયેલ વ્યવહાર થયો હોય તો, તેને પ્રતિબિંબિત કરતી નોંધ મહેસૂલી રેકર્ડમાં પાડવી  જ જોઈશે, એવા ઉપરોક્ત સિદ્ધાંતને ધ્યાને લેતાં, ફેરતપાસ સત્તાધિકારીએ કલેક્ટરના હુકમને બહાલી આપવામાં અને પ્રશ્નવાળી ફેરફાર નોંધના રદ્દીકરણને સ્વીકૃતિ આપવામાં કાયદાની દેખીતી ભૂલ કરી હતી.

આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે અન્ય કેસોનો સંદર્ભ લીધેલ જેમ કે, ઝવેરભાઈ સવજીભાઈ પટેલ થ્રુ પાવર ઓફ એટર્ની હોલ્ડર અશોક જે.પટેલ વિ.કંચાબહેન નાથુભાઈ પટેલ, ૨૦૦૫ (૩) જી.એલ.આર ૨૨૩૩ના કેસમાં તેમજ બલવંતરાય અંબારામ પટેલ વિ.સ્ટેટ ઓફ ગુજરાતના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં.૫૪૬૪/૨૦૧૪ના કામે તા.૮ મે, ૨૦૧૪ના રોજ નિર્ણિત કેસમાં અને સાથે સાથે દૂધીબહેન મુલજીભાઈ પટેલ વિ. સ્ટેટ ઓફ ગુજરાતના સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન  નં.૭૫૮/૧૯૯૭ના કામે તા.૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ નિર્ણિત કેસમાં પણ ઠરાવેલ છે કે, જ્યારે એક નોંધાયેલ દસ્તાવેજ હોય ત્યારે ફેરફાર નોંધ દાખલ થવી જ જોઈતી હતી.

વધુમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ એવા તારણ ઉપર આવેલા કે, સિદ્ધાંત એવા કેસમાં પણ લાગુ પડે છે કે જ્યાં એક નોંધાયેલ વસિયત કરવામાં  આવી હોય અને આવા નોંધાયેલ દસ્તાવેજના આધારે ફેરફાર નોંધ પાડવામાં આવી હોય. તે સાથે જ, એ પણ સમાન રીતે સુપ્રસ્થાપિત નિર્ણય છે કે, એક ફેરફાર નોંધ મહેસૂલી રેકર્ડમાં માત્ર કરવેરા/મહેસૂલી હેતુ માટે જ રહે છે. મિલકતના સંબંધમાં હકો અને માલિકીને સંબંધિત ટાઈટલને લગતી ઘટનાઓને દીવાની અદાલત દ્વારા તેઓનો ન્યાયનિર્ણય થયા બાદ નિર્ણિત કરવાના રહે છે. જ્યાં  સુધી હાલના પડકારનો  પ્રશ્ન છે ત્યાં  સુધી, રેગ્યુલર દીવાની દાવા નં.૫૮૬/૨૦૦૫ સુરત ખાતે સક્ષમ દીવાની અદાલત સમક્ષ પડતર છે. તેથી, નોંધાયેલ વસિયતના આધારે પાડવામાં આવેલ નોંધને બહાલી આપવા સાથે એ બાબતે સ્પષ્ટતા કરવી જોઈશે કે, તે કથિત દીવાની દાવાના પરિણામને અધીન રહેશે.

આથી નામદાર ગુજરાત હાઈકોર્ટે ફેરતપાસ સત્તાધિકારી-હાલના બચાવકર્તા નં.૧નો તા.૨૦/૨૧-૦૧-૨૦૧૬ના રોજનો વિવાદી હુકમ અને કલેક્ટર અમદાવાદ (ખરેખર સુરત)નો તા.૨૩-૦૬-૨૦૦૬ના રોજનો હુકમ એ બંને સેટ-એસાઈડ કરવામાં આવેલ કે જે એ નિરીક્ષણને અધીન રાખવામાં આવેલ કે, નોંધ નં.૧૧૭૪૬ સુરતની સક્ષમ કોર્ટ સમક્ષ પડતર રેગ્યુલર દીવાની દાવા નં.૫૮૬/૨૦૦૫ના પરિણામ વડે બંધાયેલ રહેશે. પરિણામે અરજદારની અરજી મંજૂર કરવામાં આવેલ.

ઉપરોક્ત કેસ ઉપરથી ફલિત થાય છે કે, જ્યારે પણ સક્ષમ મહેસૂલી અધિકારી સમક્ષ નવી શરતની જમીન અંગે રજિસ્ટર્ડ વસિયતનામાના આધારે હકપત્રમાં ફેરફાર કરવા માટે રજૂ કરવામાં આવે ત્યારે તે અધિકારીએ તેવા રજિસ્ટર્ડ દસ્તાવેજની રેવન્યૂ રેકર્ડ પર નોંધ કરવા બંધાયેલા છે અને તેવી એન્ટ્રી પાડવા સંબંધિત અન્ય પક્ષકાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં  આવે તો તે સમયે અથવા તે તબક્કે સક્ષમ અધિકારીએ તેવા વાંધાઓના ગુણદોષમાં ઊતરીને તેવા રજિસ્ટર્ડ દસ્તાવેજના આધારે પાડવામાં આવેલી એન્ટ્રી નામંજૂર યા રદ કરવી જોઈએ નહીં એટલે કે રજિસ્ટર્ડ દસ્તાવેજથી હક ફેરફાર માટે કોઈપણ નોંધ પાડવા માટે સક્ષમ મહેસૂલી અધિકારી સમક્ષ આવે તે પ્રથમ તો તેણે તેવી નોંધ પોતાના રેકર્ડમાં નોંધવી જ જોઈએ અને તે રજિસ્ટર્ડ દસ્તાવેજની એન્ટ્રી સંબંધિત વાંધા લેનાર પક્ષકાર ઉપસ્થિત કરવામાં  આવેલ તકરારોનો સક્ષમ હકુમત ધરાવતી અદાલત દ્વારા  નિર્ણય આપવામાં  આવે તેને આધીન રાખવી જોઈએ.

(લેન્ડ લોઝ જજમેન્ટ્સ, વોલ્યુમ-૧, ઈશ્યૂ-૩, માર્ચ-૨૦૧૯, પાના નં.૨૦૧)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

The post નવી શરતની જમીન અંગે થયેલ રજિસ્ટર્ડ વસિયતનામાની નોંધ દાખલ કરવા રેવન્યૂ ઓથોરિટી બંધાયેલ છે appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/new-condition-land-related-2/
via Best Gujarati News