ભાનુશાળી મર્ડર કેસમાં સંડોવાયેલા ડુમરાનું મોટું કૌભાંડ ખૂલ્યું, બેંકના 30 કરોડ ખંખેર્યા
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં ઝડપાયેલા જયંતી ઠક્કર ઉર્ફે ડુમરાનું કેડીસીસી બેંકનું રૂ. ૩૦ કરોડનું કૌભાંડ થયાની વિગત એસઆઈટીના અધિકારીઓને મળી છે. આ કૌભાંડ ભાનુશાળી બહાર લાવશે તો પોતાની રાજકીય કારર્કીદી સમાપ્ત થઈ જશે તેવા ડરથી ડુમરા પણ મર્ડર કેસમાં સામેલ થયો હતો.
એસઆઈટીએ ડુમરાને શુક્રવારે કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે ૮ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ભાનુશાળીની હત્યામાં એસઆઈટીએ જયંતી જેઠાલાલ ઠક્કર ઉર્ફે જયંતી ડુમરા (ઉ.વ.પ૪), રહે, હીરાણીનગર, ભુજની સંડોવણી હોવાનું ખૂલતાં એસઆઈટીએ તેની ધરપકડ કરી લીધી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જયંતી ઠક્કરની અગાઉ પણ પૂછતાછ કરવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે છોડી મુકાયો હતો. આ દરમિયાનમાં ગાળિયો મજબૂત બનતાં એસઆઈટીએ તેની ધરપકડ કરી લીધી હતી. ડુમરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના પરિવારજનો ઉપરાંત ભાજપ,કોંગ્રેસના આગેવાનો પણ મળવા માટે દોડી આવ્યા હતા.
એસઆઈટીના અધિકારીઓના જણાવ્યા મૂજબ ડુમરાને ભાનુશાળી કેડીસીસી બેંકના હિસાબો બાબતે નડી જશે તેવો ડર હતો. કેડીસીસી બેંકમાં લોનનું મોટાપાયે કૌભાંડ થયું હતું. જે આંકડો રૂ.૩૦ કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોતાનું નામ ખુલશે તો રાજકીય કારર્કીદી પુરી થઈ જશે તેવું માનતો જયંતી ઠક્કર ભાનુશાળીનો કાંટો કાઢવા સહમત થયો હતો.
કયા કયા મુદ્દા પર એસઆઈટી તપાસ કરશે
૧.ગુનાની ફરિયાદમાં આરોપીનું પ્રથમથી જ નામ સામેલ છે. ર. મુખ્ય આરોપી છબીલ પટેલની કબૂલાત મુજબ જયંતી ઠક્કર અને છબીલ પટેલને જયંતી ભાનુશાળી પર ગુસ્સો હતો. ભાનુશાળીને બદનામ કરવા મનીષા ગોસ્વામી અને તેની પાસે રહેલા અશ્લીલ સાહિત્યનો સહારો લઈ જયંતી ભાનુશાળીને બદનામ કરી રાજનીતિ છોડી દે તેવા ખૂબ પ્રયત્ન કરેલ, પરંતુ રાજનીતિ છોડેલ નહીં, ઉલ્ટાનું કેડીસીસી બેંક કૌભાંડની તપાસમાં સ્ટે હટાવવા મહેનત કરેલ.
૩. જયંતી ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદ કરનાર સુજિતભાઉ અને મનીષા ગોસ્વામીની ગેંગ સાથે જયંતી ઠક્કર સંપર્કમાં હોવાનું ફરિયાદી સુનીલ ભાનુશાલીને જણાવેલ, જેથી આ ગેંગ સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યો? ૪. છબીલ પટેલ અને જયંતી ઠક્કરની ઓડિયો ક્લિપોમાં થયેલી વાતચીતની જાણકારી મેળવવા પ. સુજિતભાઉની ગેંગ મનીષા ગોસ્વામી, નિખિલ થોરાટ સાથે જયંતી ઠક્કર હત્યાના ચાર દિવસ અગાઉ મુંબઈથી ભુજ જેટ એરવેઝની ફ્લાઈટમાં સાથે આવ્યા હતા. તો આ ગેંગ સાથે ભુજ આવવાનું પ્રયોજન શું હતું? ભુજ રહી હત્યા બાબતે શું પ્લાનિંગ થયેલ?
૬. ઈનોરબીટ મોલમાં શૂટરોને આપવા માટે પ લાખ જયંતી ઠક્કરે તેના માણસ મારફતે મોકલાવ્યા હોવાનું છબીલે જણાવ્યું હતું, જેથી આ માણસ કોણ હતો? ૭. સુરજિત ભાઉ, મનીષા અને નિખિલ થોરાટ સાથે જયંતી ઠક્કરને અગાઉથી સંબંધો હતા, જેથી હાલે આ આરોપી ક્યાં છે? ૮. છબીલનો પુત્ર સિદ્ધાર્થ પોલીસ સમક્ષ હાજર થવા માગતો હતો, પરંતુ જયંતી ઠક્કરે પોલીસમાં હાજર થવા દીધેલ ન હોવાનું તપાસમાં ખુલ્યું હતું, જેથી તે પાછળ આરોપીનો શું ઈરાદો હતો?
૯. મનજી ભાનુશાળીના કહેવા મુજબ જયંતી ભાનુશાળી અને છબીલ વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ હતુ, પરંતુ સમાધાન પહેલાં છબીલ વિદેશ રવાના થઈ ગયો હતો, જેની જાણ જયંતી ઠક્કરને કરી હતી. તેમ છતાં આ મામલે જયંતી ઠક્કરે જયંતી ભાનુશાળી કે મનજી ભાનુશાળીને જાણ કરી ન હતી. સમાધાન માટે જયંતી ભાનુશાળી કચ્છમાં ૬/૧/૧૯ સુધી રોકાયેલ હતા. સમાધાનમાં તેમની શું ભૂમિકા હતી? ૧૦. કાવતરાને અંજામ આપવા ગેંગનો ઉપયોગ કેવી રીતે કર્યો? ભુજમાં અન્ય આરોપી સાથે હત્યાનું કાવતરું સફળ થાય તે માટે શું શું આયોજન કર્યું?
૧૧. જયંતી ભાનુશાળી સામે સુરતમાં ફરિયાદ નોંધાયા બાદ ભારે મતભેદ થયા હતા. જેથી કેડીસીસી બેંકની તપાસમાં સ્ટે હટાવવા જયંતી ભાનુશાળીએ પ્રયત્ન કરેલ હોવાનું તપાસમાં જણાઈ આવ્યું હતું. જેથી કેડીસીસી બેંક કૌભાંડની શું બાબત હતી? ૧ર. જયંતી ભાનુશાળી અને જયંતી ઠક્કર વચ્ચે રાજકીય, આર્થિક વિવાદો હતા? તો તે વિવાદો શું હતા?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ભાનુશાળી મર્ડર કેસમાં સંડોવાયેલા ડુમરાનું મોટું કૌભાંડ ખૂલ્યું, બેંકના 30 કરોડ ખંખેર્યા appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/a-big-scandal-involving-bhanusali-murder-case-opens-bank-scrap-30-crores/
via Best Gujarati News
0 Comments